મણિપુર રાજભવન પર પથ્થરમારાની ઘટનામાં 20ને ઈજા, સુરક્ષા કર્મચારીઓ દોડ્યા જીવ બચાવવા

મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં સોમવારે સેંકડો વિરોધ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ રાજભવન પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ ભાગતા જોવા મળ્યા હતા. પોલીસ અને સુરક્ષા દળોએ બેરિકેડ લગાવીને પ્રદર્શનકારીઓને અટકાવ્યા હતા. ટીયર ગેસના શેલ અને રબર બુલેટના અનેક રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાં 20 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

મણિપુરમાં હિંસક ઘટનાઓમાં અચાનક વધારો થવાના વિરોધમાં મૈતેઈ સમુદાયના આ વિદ્યાર્થીઓ 8 સપ્ટેમ્બરથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમાં સ્થાનિક લોકો પણ સામેલ છે. રવિવારે કિશમપતમાં ટિડિમ રોડ પર 3 કિલોમીટરની કૂચ કર્યા બાદ વિરોધીઓ રાજભવન અને સીએમ હાઉસ પહોંચ્યા હતા. તેઓ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા માંગે છે.

સોમવારે, સુરક્ષા દળોએ મેમોરેન્ડમ સોંપવાની માંગ પૂરી કરી, ત્યારબાદ પણ વિદ્યાર્થીઓએ રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ અહીં જ રહેશે. આ દરમિયાન તેની સુરક્ષા દળો સાથે અથડામણ પણ થઈ હતી.

વિદ્યાર્થીઓ 1 અને 3 સપ્ટેમ્બરે મૈતેઇ વિસ્તારોમાં ડ્રોન હુમલાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે કેન્દ્રીય દળો પર મૌન જાળવવાનો આરોપ લગાવ્યો અને માંગ કરી કે તેઓ રાજ્ય છોડી દે. તેમજ રાજ્યના 60માંથી 50 મૈતેઈ ધારાસભ્યોને તેમનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા અથવા રાજીનામું આપવા જણાવ્યું હતું.

આ વિદ્યાર્થીઓએ રાજ્યમાં એકીકૃત કમાન્ડની કમાન મુખ્યમંત્રી એન બિરેન સિંહને સોંપવાની પણ માંગ કરી છે. એટલે કે કેન્દ્ર અને રાજ્ય દળોની કમાન્ડ કેન્દ્રને બદલે મુખ્યમંત્રી પાસે હોવી જોઈએ. આ લોકો ડીજીપી અને સુરક્ષા સલાહકારને હટાવવાની પણ માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *