અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન શ્રીરામનો અભિષેક યોજાવા જઈ રહ્યો છે. ત્યારે હવે એત નવો ક્રેઝ સામે આવ્યો છે. જેમાં સગર્ભા મહિલાઓની બાળકની ડિલિવરી 22 જાન્યુઆરીએ થાય તેવી ડોક્ટરને રીક્વેસ્ટ કરી રહી છે તેમજ તે દિવસે જ જન્મ થાય તેની વાતો પર ચર્ચા કરતી હોવાનું સામે આવ્યા છે. મહત્વનું છે કે મહિલાઓના મતે આ દિવસ ખૂબ જ ‘શુભ’ છે અને બાળકનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હશે. જ્યારે બીજી તરફ ડૉક્ટરે જણાવ્યું હતુ કે, દરેક વ્યક્તિ માટે ઇચ્છિત દિવસે નોર્મલ ડિલિવરી શક્ય નથી.
UPના કાનપુરની ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજમાં પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગ વિભાગના કાર્યકારી પ્રભારી સીમા દ્વિવેદીએ જણાવ્યું હતું કે, 12 થી 14 સગર્ભા મહિલાઓએ તેમને લેખિતમાં વિનંતી કરી છે કે, તેમના બાળકોની ડિલિવરી 22 જાન્યુઆરીએ જ કરવામાં આવે. હવે હોસ્પિટલમાં કુલ 35 સિઝેરિયન પ્રસૂતિની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ડૉ. સીમા દ્વિવેદીએ કહ્યું કે, તેમણે આ મહિલાઓને કહ્યું છે કે દરેક વ્યક્તિ માટે ઇચ્છિત દિવસે નોર્મલ ડિલિવરી શક્ય નથી.
મહિલાઓ અને નવજાત શિશુઓને શું સમસ્યાઓ થઈ શકે ?
આ સગર્ભા મહિલાઓનું કહેવું છે કે, જો તેમની ડિલિવરી એક-બે દિવસ આગળ કે પાછળ થવાની હોય તો પણ તેમની ડિલિવરી 22 જાન્યુઆરીએ જ થવી જોઈએ. ડો. સીમા દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આવી માંગણીઓ વારંવાર આવે છે અને લોકો ‘શુભ’ દિવસોમાં ડિલિવરી કરાવે છે. આ વખતે રામ મંદિરના અભિષેકના દિવસે ડિલિવરીની માંગ ઘણી વધારે છે. ડો.સીમા કહે છે કે, તે ચિંતાજનક છે કે કેટલીકવાર પરિવારના સભ્યો અપેક્ષા રાખે છે કે, અમે માતા અને નવજાત બાળક માટે ઊભી થતી ગૂંચવણોને અવગણીએ.