ઈરાનમાં વિસ્ફોટ, 50થી વધુના થયા મૃત્યુ, 20 ઈજાગ્રસ્ત, વિસ્ફોટનું કારણ આવ્યું સામે

ઈરાનની રાજધાની તેહરાનથી 540 કિલોમીટર દૂર એક મોટી ઘટના સામે આવી છે. પૂર્વી ઈરાનના તબાસ સ્થિતિ કોલસાની ખાણમાં શનિવારે રાત્રે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 51 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. ઈરાનનું સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. ખાણમાં હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે.

લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ પર ઈઝરાયેલના હુમલા વચ્ચે ઈરાનમાં એક મોટી દુર્ઘટના થઈ છે. મિથેન ગેસના લીકેજને કારણે પૂર્વી ઈરાનમાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 51 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 20 લોકો ઘાયલ થયા છે.

સરકારી મીડિયાના અહેવાલો અનુસાર આ દુર્ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 540 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત તબાસમાં થઈ હતી. શનિવારે મોડી રાત્રે થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ ઇમરજન્સી કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. વિસ્ફોટ સમયે લગભગ 70 લોકો ત્યાં કામ કરી રહ્યા હતા.

પ્રાંતીય ગવર્નર મોહમ્મદ જાવદ કેનાતે સરકારી ટીવીને જણાવ્યું કે 51 લોકો માર્યા ગયા અને 20 ઘાયલ થયા. ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને ફસાયેલા લોકોને બચાવવા અને તેમના પરિવારોને મદદ કરવાનો આદેશ આપ્યો. તેમણે એમ પણ કહ્યું કે ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ઈરાન ખનિજોથી છે સમૃદ્ધ


તેલ ઉત્પાદક ઈરાન પણ અનેક પ્રકારના ખનિજોથી સમૃદ્ધ છે. ઈરાન દર વર્ષે લગભગ 3.5 મિલિયન ટન કોલસાનો વપરાશ કરે છે. પરંતુ તે દર વર્ષે તેની ખાણોમાંથી માત્ર 1.8 મિલિયન ટન કોલસો કાઢવામાં સક્ષમ છે. બાકીનો કોલસો આયાત કરવામાં આવે છે.

અકસ્માતો ક્યારે થયા?


2013 માં ઈરાનમાં બે અલગ-અલગ ખાણ અકસ્માતોમાં 11 કામદારોએ જીવ ગુમાવ્યો હતો. 2009માં અનેક ઘટનાઓમાં 20 કર્મચારીઓના મોત થયા હતા. 2017માં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટનો ભોગ 42 લોકો બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *