ભારતીય શીખ શ્રદ્ધાળુઓ ગુરુપર્વ ઉજવવા માટે પાકિસ્તાન જવા રવાના થયા

ગુરુદ્વારા નનકાના સાહિબ ખાતે શ્રી ગુરુ નાનકદેવજીના પ્રકાશ પર્વની ઉજવણી માટે શીખ શ્રદ્ધાળુઓનું એક જૂથ શનિવારે સવારે અમૃતસરથી પાકિસ્તાન જવા રવાના થયું હતું. આ જૂથનું નેતૃત્વ, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી)ની આંતરિક સમિતિના સભ્ય ખુશવિન્દર સિંહ ભાટિયા કરી રહ્યા છે. આ જુથ, ત્યાં ગુરુપર્વ ના કાર્યક્રમોમાં ભાગ લેવા જાય છે. આ મુલાકાત બંને દેશોની પરસ્પર સંમતિથી આયોજિત કરવામાં આવી છે.

એસજીપીસી સચિવ પ્રતાપ સિંહે કહ્યું કે, આ વર્ષે સમિતિએ 1684 શ્રદ્ધાળુઓ માટે વિઝા માંગ્યા હતા, પરંતુ પાકિસ્તાની હાઈ કમિશને માત્ર 788 શ્રદ્ધાળુઓને જ પાકિસ્તાન જવાની મંજૂરી આપી હતી. તેમણે જણાવ્યું કે, 26 નવેમ્બરના રોજ આ સમૂહ ગુરુદ્વારા નનકાના સાહિબ અને ગુરુદ્વારા સચ્ચા સૌદા શેખુપુરામાં નમન કરશે. આ સમૂહ 27મી નવેમ્બરે પ્રકાશોત્સવ સમારોહમાં ભાગ લેશે.

તેમણે કહ્યું કે, 29 નવેમ્બરે શીખ શ્રદ્ધાળુઓ ગુરુદ્વારા પંજા સાહિબ જવા રવાના થશે. ભારતીય શીખ શ્રદ્ધાળુઓ 30 નવેમ્બરે ગુરુદ્વારા ડેહરા સાહિબ લાહોર પહોંચશે. 2 નવેમ્બરે આ સંગત, લાહોરથી ગુરુદ્વારા રોડી સાહિબ એમનાબાદ અને કરતારપુર સાહિબના દર્શન કરીને સાંજે લાહોર પરત ફરશે. 3 ડિસેમ્બરે ગુરુદ્વારા ડેહરા સાહિબ લાહોરમાં રોકાયા બાદ શીખ સંગત, 4 ડિસેમ્બરે ભારત પરત ફરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *