વડાપ્રધાનની દેશના આરોગ્ય-આંતરમાળખાકીય વિકાસને વેગ આપતાં 48 હજાર કરોડના વિકાસ પ્રકલ્પોની નાગરિકોને ગેરેંટેડ ગિફ્ટ

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજકોટ ખાતેથી ગુજરાતની પ્રથમ એઈમ્સ, તેમજ ગુજરાતની સૌથી ઊંચી મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ(એમ.સી.એચ.) સહિત દેશના વિવિધ ભાગો માટે રૂ. ૪૮,૦૦૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યા હતા. રાજકોટમાં એઈમ્સનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જૂના એરપોર્ટથી રેસકોર્સ ખાતે સભા સ્થળ સુધી યોજાયેલા રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ પ્રસંગે રેસકોર્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજધાની દિલ્હીમાં જ યોજાતા આ પ્રકારનાં વિકાસના કાર્યક્રમને રાજધાની ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ પહોંચાડ્યા છે, જેનો સાક્ષી આજનો કાર્યક્રમ છે. સવારે દ્વારકાના દરિયામાં ડૂબકી મારીને, પૌરાણિક દ્વારકાના દર્શન, તેના અવશેષોના સ્પર્શ તથા પૂજનના મળેલા અવસરને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૌતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. તે અનુભવ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, હું ઊંડા પાણીમાં વિચારતો હતો કે એ સમયે પ્રાચીન ભારતના વૈભવ અને વિકાસનું સ્તર કેટલું ઊચું રહ્યું હશે. સમુદ્રમાંથી બહાર નીકળ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને દ્વારકાની પ્રેરણા અહી સાથે લઈને આવ્યો છું. જેનાથી વિકાસ અને વિરાસતના મારા સંકલ્પને નવી તાકાત અને ઊર્જા મળી છે. હવે વિકસિત ભારતના સંકલ્પ સાથે દૈવી વિશ્વાસ પણ જોડાઈ ગયો છે.

તેમણે કહ્યું હતું કે, આજે અહીંથી રૂ. ૪૮ હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટસ દેશને મળ્યા છે. નવી મુંદ્રા-પાણીપત પાઈપલાઈનના શિલાન્યાસથી ગુજરાતથી કાચું ઓઈલ હરિયાણાની રિફાઈનરી સુધી જશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રને રોડ, બ્રિજ, ડબલ રેલવે ટ્રેક, આરોગ્ય, શિક્ષણ સહિત અનેક સુવિધાઓ મળી છે અને હવે એઈમ્સ પણ રાજકોટને સમર્પિત છે. માત્ર, રાજકોટ કે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક હોવાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, વિશ્વની પાંચમી મોટી અર્થ વ્યવસ્થાના આરોગ્ય ક્ષેત્રનું માળખું કેવું હોય તેની ઝલક રાજકોટમાં જોવા મળી રહી છે.

દેશમાં ૫૦ વર્ષ સુધી માત્ર એક એઈમ્સ હતી અને સાત દાયકા સુધીમાં માત્ર સાત એઈમ્સને મંજૂરી અપાઈ હતી પરંતુ એક પણ પૂરી થઈ નહોતી. જો કે છેલ્લા ૧૦ જ દિવસમાં સાત નવા એઈમ્સના શિલાન્યાસ અને લોકાર્પણ થયા છે.

તેમણે દેશની જનતાને વિશ્વાસ અપાવ્યો હતો કે, જે છેલ્લા ૬૦-૭૦ વર્ષમાં નથી થયું તેવા કામો ઘણી ઝડપથી પૂરા કરીને દેશની જનતાના ચરણોમાં સમર્પિત કરી રહ્યા છીએ. આજે દેશના ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હેલ્થ સંબંધિત પ્રોજેક્ટસના શિલાન્યાસ અને ભૂમિપૂજન થયા છે.

રાજકોટને એઈમ્સની આપેલી ગેરંટી ત્રણ વર્ષમાં પૂરી કરી હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, પંજાબના ભટીંડા, પશ્ચિમ બંગાળના કલ્યાણ, આંધ્ર પ્રદેશના મંગલાગીરી અને ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં એઈમ્સની આપેલી ગેરંટી પણ પૂરી કરી છે.

દેશવાસીઓને વિશ્વાસ અપાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, જ્યાં અન્યો પાસેથી અપેક્ષા ખતમ થઈ જાય છે, ત્યાંથી વર્તમાન કેન્દ્ર સરકારની ગેરંટી શરૂ થાય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભારતે કોરોનાને કેવી રીતે હરાવ્યો એની ચર્ચા આજે આખા વિશ્વમાં થઈ રહી છે. જેનું કારણ છેલ્લા દસ વર્ષમાં ભારતની હેલ્થ કેર સિસ્ટમમાં આવેલ ધરખમ ફેરફાર છે. છેલ્લા દસકામાં AIIMS, મેડિકલ કોલેજ, ક્રિટિકલ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. રાજ્યના લોકો પહેલાં કેન્દ્ર સરકાર પાસે AIIMSની માંગણી કરીને થાકી જતા હતા ત્યારે આજે દેશમાં એક પછી એક AIIMS હોસ્પિટલ અને મેડિકલ કોલેજો ખુલી રહી છે.

છેલ્લા દસ વર્ષમાં સરકારે ૧૦ AIIMS દેશના અલગ-અલગ રાજ્યોમાં મંજૂર કરી છે. છેલ્લા દશકમાં આરોગ્યની માળખાકીય સુવિધાઓના થયેલા વિકાસ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે નાની બીમારીઓ સામે રક્ષણ મેળવવા ગામડે-ગામડે ૧.૫૦ લાખ જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવાયા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ૧૦ વર્ષ પહેલાં દેશમાં ૩૭૦ થી ૩૮૦ જેટલી મેડિકલ કોલેજો હતી, આજે દેશમાં ૭૦૦થી વધારે મેડિકલ કોલેજો છે. MBBSની ૫૦ હજાર સીટો વધીને આજે એક લાખ જેટલી થઈ છે. મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશનની ૩૦ હજાર સીટો આજે વધીને ૭૦ હજાર થઈ છે. દેશમાં ૬૪ હજાર કરોડ રૂપિયાનું આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન ચાલી રહ્યું છે.

આજે સરકારની પ્રાથમિકતા બિમારીઓથી બચાવવાની જ નહીં પરંતુ બિમારીઓની સામે લડવાની ક્ષમતા વધારવાની પણ છે. આજે દેશમાં પોષણ, યોગ, આયુષ, સ્વચ્છતા પર ભાર અપાઈ રહ્યો છે. જેનાથી લોકોની બિમારીઓ સામે લડવાની ક્ષમતામાં વધારો થયો છે. આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોગ અને નેચરોપેથી સાથે જોડાયેલા મોટા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન થયું છે અને ગુજરાતમાં પારંપારિક ચિકિત્સા પદ્ધતિ સાથે જોડાયેલું WHOનું વૈશ્વિક સેન્ટર બની રહ્યું છે જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજે દેશમાં પારંપારિક ભારતીય ચિકિત્સા પદ્ધતિ અને આધુનિક ચિકિત્સા પદ્ધતિ બંને પર ભાર અપાઈ રહ્યો છે.

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના પરિણામે ગરીબ અને જરૂરતમંદ વર્ગોને થયેલી બચત વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, આયુષ્યમાન ભારત યોજનાથી દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રૂ. એક લાખ કરોડ, જન ઔષધી કેન્દ્રોમાં ૮૦ ટકા ડિસ્કાઉન્ટથી રૂ. ૩૦ હજાર કરોડ, ઉજ્જવલા યોજનાના માધ્યમથી રૂ. ૭૦ હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. સરકારે સસ્તો ડેટા આપી મોબાઈલ વપરાશકર્તાના દર મહિને રૂ. ૪ હજાર બચાવ્યા છે. જ્યારે ટેકસ સંબંધીત સુધારાઓથી કરદાતાઓના રૂ. ૨.૫ લાખ કરોડની બચત થઈ છે.

ગરીબ અને મધ્યમવર્ગી પરિવારોને વધુ બચત થાય તે માટે સરકાર નવી યોજના લાવી રહી છે એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજે સરકાર દ્વારા વીજળી બિલ ઝીરો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના માધ્યમથી દેશના લોકોની આવક અને બચતમાં વધારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ યોજનાથી જોડાયેલા લોકોને ૩૦૦ યુનિટ મફત વીજળી મળશે અને બાકીની વીજળીની સરકાર ખરીદી કરી તેના પૈસા પણ ચૂકવશે. આજે કચ્છમાં બે મોટા સોલાર પ્રોજેક્ટ અને વિન્ડ એનર્જી પ્રોજેક્ટનું શિલાન્યાસ થયો જેનાથી ગુજરાતની રીન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે.

પી.એમ. વિશ્વકર્મા અને સ્વનિધિ યોજના વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દેશના ઇતિહાસમાં પ્રથમવાર વિશ્વકર્મા લોકો માટે રાષ્ટ્રવ્યાપી યોજના બનાવવામાં આવી છે. ૧૩ હજાર કરોડની આ યોજનામાં આજે લાખો લોકો જોડાઈને પોતાનો વેપાર રોજગાર આગળ વધારી રહ્યા છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં ૨૦ હજારથી વધારે લોકોની ટ્રેનિંગ પૂર્ણ થઈ ગઈ છે. યોજનાના પ્રત્યેક લાભાર્થીને રૂ. ૧૫ હજારની મદદ પણ મળી છે. દેશમાં લારી, પાથરણા અને ફેરિયા લોકો માટે પીએમ સ્વનિધિ યોજના બનાવી ૧૦ હજાર કરોડની મદદ આપવામાં આવી છે. આ યોજના અંતગર્ત ગુજરાતમાં પણ રૂ. ૮૦૦ કરોડની મદદ મળી છે. રાજકોટમાં ૩૦ હજારથી વધુ લોકો આ યોજનામાં જોડાયા છે.

પ્રવચનના આરંભે વડાપ્રધાનશ્રીએ આ તકે રાજકોટ ખાતેનાં સંસ્મરણો વાગોળતા ઉમેર્યું હતું કે આજથી ૨૨ વર્ષ પહેલા રાજકોટ ખાતેથી ધારાસભ્ય બન્યા બાદ રાજકોટના ધારાસભ્ય તરીકે લીધેલા શપથનું ઋણ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ સાથે આજે ચૂકવી રહ્યો છું. રાજકોટવાસીઓએ આપેલા પ્રેમ અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે આખો દેશ વડાપ્રધાન પર આશીર્વાદ વરસાવે છે, એ રાજકોટને આભારી છે. ખૂબ લાંબો સમય થયો હોવા છતાં રાજકોટની જનતાનો પોતાનાં પરનો પ્રેમ યથાવત રહ્યો છે, અને આ પ્રેમ વ્યાજ સાથે ચૂકવવાનો હું સદા પ્રયાસ કરીશ તેમ વડાપ્રધાનશ્રીએ ઉમેર્યુ હતું.

આ તકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આજનો આ અવસર “સહુજન હિતાય- સહુજન સુખાયનાં” ધ્યેય સાથે કાર્યરત સરકારની જનસેવા સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાની સાક્ષી આપતો અવસર છે. વડાપ્રધાનશ્રીએ ત્રણ દિવસ પહેલા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને રૂ. ૫૭ હજાર કરોડથી વધુ રકમના, ૧૭૮ વિકાસ કામોની સોગાદ આપી અને આજે સવારે દ્વારકાધીશની પૂજા-વંદના કરીને આજના વિકાસોત્સવનો પ્રારંભ કરાવીને રૂ. ૪,૧૫૦ કરોડના કામો દ્વારકા-જામનગરને આપ્યા છે. રાજકોટ ખાતેથી વડાપ્રધાનશ્રીનાં વરદહસ્તે રૂ. ૪૮,૦૦૦ કરોડથી વધુનાં વિકાસ પ્રકલ્પોની ભેટ મળી છે ત્યારે ગુજરાતની ધરા પરથી માત્ર ચાર દિવસમાં રૂ.૧.૧૦ લાખ કરોડથી વધુના ૩૦૦ ઉપરાંત કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત રાજ્યના ઈતિહાસમાં પ્રથમ ઘટના હશે તેમ તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ દેશમાં આરોગ્ય ક્ષેત્રે જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતમાં પણ હોય તેવા સંકલ્પ સાથે વર્ષ ૨૦૨૦માં વડાપ્રધાનશ્રી દ્વારા એઇમ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એના લોકાર્પણ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને નજીકના સ્થળે ઘનિષ્ઠ અને વર્લ્ડક્લાસ અદ્યતન સારવારની સુવિધા મળી રહે તેવી વડાપ્રધાનશ્રીની નેમ આજે સાકાર થઈ છે.

વડાપ્રધાનશ્રી સામાન્ય માનવી, ગરીબ અને છેવાડાના માનવીઓનાં, અંત્યોદયના હિતોને કેન્દ્રમાં રાખીને ચાલનારા લોકનાયક છે. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પિત અને ખાતમૂહુર્ત કરાયેલા વિવિધ પ્રોજેક્ટસથી ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિનાં આવનારા વિધાયક પરિવર્તન વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, રાજકોટ સહિત અન્ય રાજ્યોમાં એઇમ્સ કાર્યરત થવાથી ગરીબ, વંચિત, જરૂરતમંદ વર્ગને આરોગ્ય સેવાઓ સરળતાથી મળશે. મેડીકલની બેઠકો પણ વધશે અને યુવાઓને ઘર આંગણે જ મેડીકલ એજ્યુકેશન તથા ઉચ્ચ અભ્યાસ માટેની તક મળતી થશે. ઊર્જા વિભાગના સબ સ્ટેશનો કાર્યરત થવાથી અન્નદાતા એવા ખેડૂતોને ગુણવત્તાયુક્ત કૃષિ વિષયક અને અન્ય વીજ પૂરવઠો પહોંચાડી વધુ કૃષિ ઉપજથી આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે. પાણી પૂરવઠાની યોજનાઓથી નારીશક્તિને ઘર આંગણે સ્વચ્છ અને પુરતું પાણી મળશે. બાળકો અને માતાઓને સઘન આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મેટરનીટી એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું હતું કે, આજનો આ વિકાસોત્સવ આ ચારેય જાતિઓના સર્વગ્રાહી વિકાસને નવી ગતિ આપનારો બની રહેશે.

જનતા જનાર્દનની વિકાસ આકાંક્ષા સંતોષવાની ગેરંટી સાથે રાજકોટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને ૪૮ હજાર કરોડના ૧૩૨ વિકાસકામોની ભેટ આપવામાં આવી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ દરેક વ્યક્તિનાં જીવન સ્તરને શ્રેષ્ઠ કરવા માટે હેલ્થકેર, રેલ-રોડ કનેક્ટિવિટી, વીજળી-પાણી સહિતના માળખાને સુદ્રઢ કરી લોકોનું ‘ઇઝ ઓફ લિવિંગ’ વધારવાની ગેરંટી આપી છે. આ પ્રોજેક્ટસમાં સર્વગ્રાહી, સર્વ સ્પર્શી વિકાસ માટે આહાર, આરોગ્ય અને આવાસ જેવા ક્ષેત્રોને અગ્રતા આપવામાં આવી છે.

વડાપ્રધાનશ્રીના દૂરંદેશી દૃષ્ટિકોણ થકી આકાર પામેલી “સૌની યોજના” દ્વારા નર્મદાના જળ સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયોમાં પહોંચતા આ વિસ્તારમાં પાણીના દુકાળની સમસ્યા આજે ભૂતકાળ બની છે ત્યારે સૌરાષ્ટ્ર માટે આજે આરોગ્ય, પાણી, વીજળી, રસ્તા સુધારણા કનેક્ટીવિટીના વિવિધ પ્રકલ્પોની ભેટ સર્વાંગી વિકાસનો ઉત્સવ બની છે. વડાપ્રધાનશ્રી દ્વારા મળેલી બહુવિધ વિકાસ પ્રકલ્પોની ભેટથી વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવાની નવી દિશા અને પ્રેરણા મળશે તેવો વિશ્વાસ આ તકે મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાનશ્રીના હસ્તે રાજકોટ ખાતેતી જનસમર્પિ તથા ખાતમુહૂર્ત કરાયેલા વિવિધ પ્રકલ્પોની વિગતો રજૂ કરતી ટૂંકી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પણ આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.

આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તથા કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, સાંસદ શ્રી સી.આર. પાટીલ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના મંત્રી સર્વશ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રીમતિ ભાનુબહેન બાબરિયા, તેમજ સંસદસભ્યો સર્વે શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રામભાઈ મોકરિયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, શ્રીમતિ ભારતીબહેન શિયાળ, શ્રી રાજેશભાઈ ચુડાસમા, શ્રી નારણભાઈ કાછ઼ડિયા, શ્રી વિનોદભાઈ ચાવડા, મેયર શ્રીમતિ નયનાબહેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબહેન રંગાણી, ધારાસભ્યો સર્વ શ્રી ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબહેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતિ ગીતાબા જાડેજા, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી જિતેન્દ્રભાઈ સોમાણી તેમજ અગ્રણી ડૉ. ભરતભાઈ બોઘરા સહિતનાં અગ્રણીઓ રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી, રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવહણે સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *