પ્રવાસન સ્થળો પર હાલ માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યુ હતું. કારણ કે શનિ રવિ અને ક્રિસમસની સળંગ ત્રણ દિવસની રજાઓ મળી જતા લોકોને ફરવાની મજા પડી ગઈ હતી. ગુજરાતના પ્રવાસન સ્થળોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. તે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે જુનાગઢ કે સાસણગીર કે સાપુતારા. દરેક જગ્યાએ માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની. જે હવે પ્રવાસીઓ માટેનું ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે. તાજેતરમાં નાતાલના મિની વેકેશનમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. શનિ-રવિ અને સોમવારની ત્રણ દિવસની રજાઓમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી. જેમાં રવિવારના એક જ દિવસમાં 80 હજાર પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
શનિ-રવિના બે દિવસો દરમિયાન અત્યાર સુધીમાં 1.20 લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી છે. હાલમાં એટલે કે આજે નાતાલ હોવાથી સોમવારે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. જેમાં માત્ર ગુજરાતીઓ જ નહીં. દેશના દરેક છેડેથી પ્રવાસીઓ આવી રહ્યા છે.
આ તરફ જુનાગઢ અને ગીરમાં પણ ઐતિહાસિક વિરાસત અને સિંહ દર્શન કરવા લાખો લોકો ઉમટી પડ્યા હતા. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી સહેલાણીઓ સૌરાષ્ટ્રમાં ઉમટ્યા હતા. ગિરનાર રોપવે, ઉપરકોટ કિલ્લો અને સિંહ દર્શનની મજા માણતા પ્રવાસીઓએ કહ્યું કે કુદરતી સૌંદર્યનો નજારો જોઇને અભિભૂત થઇ ગયા છીએ.